Thursday, December 31, 2009

સૂર્યનગરી: જોધપુર

સૂર્યનગરી: જોધપુર
જયપુર તો જાણે પિંક સિટી તરીકે ઓળખાય છે પણ જોધપુર? જોધપુર સન સિટી તરીકે જાણીતું છે. જોધપુરને રાવ જોધાએ વસાવ્યું છે. જયપુર સ્થિત ઉમેદભવન પેલેસ દેશના સૌથી ભવ્યાતિભવ્ય બાંધકામમાં સ્થાન પામે છે. ઉમેદ ભવન પેલેસની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેકચરલ પેઢી ‘લેન્કેસ્ટર એન્ડ લોજે’ તૈયાર કરી છે.
સામાન્ય રીતે મહેલો રાજા-મહારાજા-શહેનશાહ-સમ્રાટોનો વૈભવ દર્શાવવા માટે બંધાતા હોય છે. ઉમેદભવન પેલેસ જો કે સત્તા સંપત્તિનું નહીં પ્રજા વાત્સલ્યનું પ્રતીક છે. તે વખતે દુષ્કાળમાં સપડાયેલી પ્રજા બેકાર ન થઇ જાય તે માટે રાજાએ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું અને ૧૨ વર્ષથી વધુ સમય સુધી તે કામ ચાલ્યું. તે દરમિયાન હજારો કામદારોને રોજી-રોટી મળી. મહેલનું ઇન્ટિરિયર યુરોપિયન સ્ટાઇલનું છે.
૧૯૪૩માં ઉમેદભવન મહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજશ્રી બેનરની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું કેટલુંક શૂટિંગ અહીં થયું છે. જોધપુરની બાજીમાં સવાસો મીટર ઊચાઇ પર આવેલા મહેરાંગઢ પરથી શહેરનું રમણીય દ્રશ્ય દેખાય છે. મહેરાંગઢમાં સંગ્રહાલય છે. ત્યાં રજવાડી વારસો સચવાયો છે. ૧૫મી સદી દરમિયાન બનેલી શીપ કિલ્લા પર આજેય અડીખમ છે.
ચીનની દીવાલની ભારતીય આવૃત્તિ: કુંભલગઢ
કુંભલગઢ એક સમયે ખાધાન્નનો કોઠાર હતો. તેની વસ્તી ૩૦,૦૦૦ હતી અને ત્યાં ૩૫૦ જેટલા દેવાલયો હતા પણ શહેરનો ઉપયોગ ખાધ પુરવઠો સંઘરવા માટે થતો હતો. કુંભલગઢ ફરતે ૩૬ કિ.મી. લાંબી અને ૨૬ ફીટ પહોળી દીવાલ આવેલી છે. એ દીવાલ પરથી એકસાથે આઠ ઘોડા જોતરેલા રથ સહિતની સેના પસાર થઇ શકતી હતી. આ દીવાલને ચીનની દીવાલની તેની આવૃત્તિ ગણી શકાય!
દીવાલમાં કુલ સાત દરવાજા છે જે મજબૂત લાકડામાંથી બન્યા છે. આ ગઢનું બાંધકામ રાણા કુંભે કરાવ્યું હતું. જોકે વિધીની વક્રતા એ છે કે રાણા કુંભની હત્યા આ જ કિલ્લાની અંદર તેના દીકરા ઉદયે કરી હતી! ત્યાં એક બાદલ મહેલ છે. તેનાં રાણીવાસનું બાંધકામ એવી રીતે કરાયું હતું કે રાણીવાસમાં ચાલતી વાતો થોડે દૂર રાજા પોતાના ખંડમાં સાંભળી શકતો હતો!
રોમાન્સ નગરી: ઉદયપુર
આમ તો ઉદયપુર નામ જોતા ખરેખર તેને સૂર્યોદયનું શહેર ગણવું જોઇએ પણ તે સરોવરોનું શહેર છે. ભવ્યતાનું શહેર છે. રમણીયતાનું શહેર છે. રોમાન્સનું શહેર છે! જોધપુરથી ઉદયપુર ૨૭૫ કિલોમીટર દૂર છે. કોઇ પણ રસ્તે સરળતાથી પહોંચી શકાય છે. ઉદયપુર મહારાજા ઉદયસિંહે તેના વાસ્તુશાસ્ત્રીની સલાહથી વસાવેલું પાટનગર હતું. ઉદયપુરમાં કુલ ત્રણ તળાવ છે. ફતેહસાગર, પિછોલા તળાવ અને સ્વરૂપસાગર.
શહેરની વરચે લેક પેલેસ આવેલો છે. આજે તો આ પેલેસ જોવાલાયક હોટેલ બની ગયો છે. ઇતિહાસ એવો છે કે, મહારાજા જગતસિંહ બીજાને તેમના પિતાએ પિછોલા તળાવની વરચોવરચ આવેલા જગતમંદિરમા તેમના મહારાણી સાથે રોમાન્સ કરતા રોકયા અને કહ્યું કે પિકનિક કરવી હોય તો તમારો પોતાનો મહેલ બનાવો! જગતસિંહે તરત જ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું. ૧૭૮૬માં બનેલા એ મહેલનું નામ રખાયું લેક પેલેસ.
લેક સિટી ઉદયપુરમાં આગળ વધીએ તો ફતેહસાગર અને બાજુમાં નહેરુ બાગ આવેલો છે. જરા આગળ જઇએ એટલે ટેકરી ઉપર ૨૯ એકરમાં ફેલાયેલો વિલાસ પેલેસ છે. જોકે આજે આ પેલેસ પંચ તારક હોટેલ છે. ૧૮મી સદીમાં મહારાજા સંગ્રામસિંહે બનાવડાવેલો ઉધાન પણ જોવા જેવો છે. ઉધાનમાં પાંચ ફુવારા હતા અને તે એવી રીતે ચાલુ રહેતા કે ‘ટાપ ટિપ ટિપ ટિપ...’ એવું સંગીત સાંભળી શકાય!
ઉપરાંત ફરવા જેવું
પુષ્કર: પુષ્કરને તમામ તીર્થસ્થળોમાં પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. ભારતના બે પૈકીનું એક બ્રહ્મા મંદિર પુષ્કરમાં આવેલું છે.
અજમેર: અજમેર શરીફ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે પ્રસિદ્ધ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક.
નાથદ્વારા: બનાસ નદીના કિનારે વૈષ્ણવ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ નાથદ્વારા ભગવાન શ્રીકૃષ્ણના એક સ્વરૂપ માટે પ્રસિદ્ધ.
મહામરુસ્થલ તરીકે ઓળખાતું રાજસ્થાનનું રણ બે લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. કદની દ્રષ્ટ્રિએ તે જગતનું સાતમું મોટું રણ છે. રણ સપાટ રેતી, ટેકરીઓ અને ખાડા ખબડામાં વહેંચાયેલું છે.
રણના સૌંદર્ય ઉપરાંત પાકિસ્તાન સાથેનીસરહદ પણ એક આકર્ષણ છે. રણમાં પ્રકૃતિપ્રેમીઓ માટે પણ સૌંદર્ય ભરપુર છે. રણમાં ૨૩ પ્રકારના સાપ અને ૨૩ પ્રકારની ગરોળી જોવા મળે છે. સલમાન ખાન એન્ડ કંપની જેના શિકાર કેસમાં ફસાયેલી છે, એ કાળિયાર પણ જોવા મળી જાય.
જેસલમેર પાસે ‘ડેઝર્ટ નેશનલ પાર્ક’ આવેલું છે.
લુપ્ત: પ્રાય થઈ રહેલા પક્ષી ઘોરાડની થોડી વસ્તી હવે આ રણમાં જોવા મળે છે. આ બધા ઉપરાંત રણનું વાહન ઊટ અને તેની સવારી તો ખરી જ!

No comments:

Post a Comment