Monday, October 4, 2010

ભીખુદાનભાઈ ગઢવી

ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે એવા કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જેમાં તેઓ ભારતીય સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્યથી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.
ગુજરાતી સાહિત્ય જેટલુ વિશાળ અને સમૃધ્ધ છે, તેટલું જ પ્રેરણા દાયક છે. ગીત, ગરબા, નૃત્ય, લોકગીતો તથા લોક ડાયરાઓથી સાહિત્ય વધારે રસિક અને આનંદ દાયક બન્યુ છે. અનેક વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કરવા માટે જીવન અર્પણ કર્યા છે.
ગુજરાતના ગામડાઓંમાં હજી પણ લોક ડાયરાઓ આનંદિત જીવનનો એક ભાગ છે. માત્ર ગુજરાતના ગામડાંઓ જ નહીં શહેરોમાં અને વિદેશોમાં પણ ડાયરાના ચાહકોનો એક ખાસ વર્ગ છે. લોક સંસ્કૃતિને લોક હદયમાં ધબકતી રાખવા અનેક લોક કલાકારો એ પોતાના જીવન ને જ સંસ્કૃતિમંત્ર બનાવી દીધો. છે.

ગુજરાતમાં લોક સંસ્કૃતિને લોક પ્રિય બનાવવામાં ગઢવી કોમનાં ભીખુદાન ગઢવીનું યોગદાન પણ ખૂબ છે. શ્રોતાગણ, સંગીતના વાદ્યો અને ભીખૂદાન ગઢવીના અનુભવી અને સુમધુર સ્વરના લહેકાનો સમન્વય ભલભલાના મનને એક વખત માટે ડોલાવી દે.
ગુજરાતી તખ્તામાં તો ખરૂ જ સાથે સાથે છેલ્લા વીસ વર્ષથી બોલિવૂડમાં તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે ગુજરાતી સાહિત્યને પોતાના અવાજ દ્રારા ગુંજતો કરીને એક અનેરૂ પ્રદાન કર્યુ છે. આ લોકપ્રિય કલાકારે બી.એસ.સી. સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતની લોકસંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ડાયરા અને અન્ય સાંસ્કૃતિક માધ્યમો દ્રારા રજૂ કરીને બહોળી પ્રસિધ્ધિ આપી છે.
નરસૈયાની નગરીના વતની એવા અને ગુજરાતી લોક સાહિત્યના જાણીતા લોકસાહિત્યકાર અને ચારણી સાહિત્ય સાથે જેનો ધરોબો છે તેવા ભીખુદાનભાઈ ગઢવીને વર્ષ ર૦૦૯ ના કવિ દુલાકાગ એવોર્ડથી સન્માનીત પસંદગી થતા સોરઠ અને સૌરાષ્ટ્રના લોક સાહિત્ય ક્ષેત્રમાં હર્ષની લાગણી પ્રસરી છે.
ગુજરાતી લોક સાહિત્યક્ષેત્ર માટે શ્રી મોરારીબાપુના પ્રયાસોથી શરૃ થયેલ કવિ દુલાકાગ એવોર્ડ માટે આ વર્ષે ભીખુદાનભાઈ ગઢવીની પસંદગી થઈ છે. દુલાકાગ એવોર્ડ સમિતિ દ્વારા કવિ શ્રી દુલાકાગની સ્મૃતિમાં આ એવોર્ડ દર વર્ષે મોરારીબાપુના હસ્તે આપવામાં આવે છે. આ એવોર્ડ અત્યાર સુધીમાં બે સાહિત્યકારો અને એક કટાર લેખકને એનાયત કરાયો છે. જેમા મેઘાણી લોક સાહિત્ય સંપાદનમાં મદદ કરનાર સ્વ.ગગુભાઈ લીલા, મહેશદાન મિષણ અને કટાર લેખક દોલતભાઈ ભટ્ટનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ મેળવનાર સાહિત્યકારોને મોમેન્ટો, શાલ અને પચ્ચીસ હજારના રોકડ પુરસ્કાર સાથે સન્માનીત કરવામાં આવે છે. એવોર્ડથી વિભૂષિત થનાર ભીખુદાનભાઈએ સંદેશ સાથેની વાતચિતમાં જણાવ્યુ કે, આ એવોર્ડ ની સાથે પુજ્ય મોરારી બાપુના હસ્તે હું સન્માનીત થઈ રહ્યો છું તેનો મને આનંદ છે. આ મારૃ સન્માન નથી પણ સમગ્ર લોકસાહિત્ય તથા ચારણી સાહિત્યનું સન્માન છે. મેં ગામડે ગામડે ફરી લોક સાહિત્ય સાથે વણાયેલ કવિ કાગના ગીતો અને કાગની વાતો કરી ત્યારે ગામડાના લોકોએ જે પ્રેમ આપ્યો તેના પ્રતિભાવ રૃપે આ એવોર્ડ માટે મારી પસંદગી કરવામાં આવી હોવાનું હું માનુ છું.